

ડુંગળીએ ટૂંકા ગાળામાં જમીનમાંથી વધુ જથ્થામાં ઉપજ આપતો કંદમૂળનો પાક છે. કંદના સારા વિકાસ માટે જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૩૦ થી ૩૨ ટન છાણીયું ખાતર તેમજ ૬૦ કિલો ફોસ્ફરસ અને ૫૦ કિલો પોટાશ જમીનમાં ભેળવી પાકની રોપણી કરવી જોઈએ. રોપણી બાદ ૨૦ થી ૨૫ દિવસે ૪૦ કિલો નાઈટ્રોજન તથા બીજો હપ્તો ૪૦ થી ૪૫ દિવસે ૩૫ કિલો નાઈટ્રોજન પ્રતિ હેકટરે આપવાની ભલામણ કરવામાં આવેલ છે. કંદના સારા ઉત્પાદન મેળવવા માટે ૨૦ કિલો પ્રતિ હેક્ટર સલ્ફર ફોસ્ફો જીપ્સમ સ્વરૂપે વાવેતર સમયે આપવું અથવા એલીમેન્ટલ સલ્ફર સ્વરૂપે ફેરરોપણીના ૨૦ થી ૨૫ દિવસ પહેલા આપવું. સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપ વાળી જમીનમાં માઇક્રોન્યુટ્રિઅન્ટ મિશ્રણ (લોહ ૨.૫%, ઝીક ૦.૩%, મેંગેનીઝ ૧%, કોપર ૧% અને બોરોન ૦.૨%) નો ફેરરોપણીના ૪૫ અને ૬૦ દિવસે છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન મળે છે.
સેન્દ્રિય ખેતીથી ડુંગળીનો પાક ઉગાડવામાં રસ ધરાવતા ખેડૂતભાઈઓને સફેદ ડુંગળીના પાકમાં હેક્ટરે ૯ ટન મરઘા બતકાંનું ખાતર અથવા ૫ ટન એરંડીનો ખોળ અથવા ૪૫ ટન છાણીયું ખાતર રોપણી કરતા પહેલા જમીનમાં સારી રીતે ભેળવી દેવાથી સારી ગુણવત્તા અને વધુ ઉપજ મળવાનું આણંદ ખાતેના સંશોધનના પરિણામો પરથી માલુમ પડેલ છે.



























