
ગ્રાહકો આપણી પેદાશો સામેથી માંગે
આવું કરવા માટે આપણે ખેડૂતોએ ત્રણ-ચાર બાબતો ડાબે કાળજે લખી લેવી પડશે. જેવી કે આપણામાં લોકોનો સો ટકા વિશ્વાસ ઉભો થવો જોઈએ. તેઓની સાથે જે વાત કરતા હોઈએ તે પૂરેપૂરી સત્ય હોવી જોઈએ. જે પેદાશનો સોદો થવાનો હોય તે પેદાશ ચોખ્ખી, ગ્રેડીંગ કરેલી અને પેદાશને અનુકૂળ પેકિંગમાં ફિટ કરેલી હોવી જોઈએ લોકોમાં આજે પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલ પેદાશનો ઉપયોગ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. એટલે એવા લોકોને અનુકૂળ હોય તેવી ગાય આધારિત સજીવખેતીની પેદાશ તૈયાર કરવાનું ગોઠવવું જોઈએ. એ માટે વાડીની મોલાતને રાસાયણિક ફર્ટીલાઈઝરથી પોષણ આપવાને બદલે સેન્દ્રીય ખાતરોથી જ પોષણ આપીએ. મોલાત પરના રોગ જીવાતના હુમલા વખતે ઝેરી રસાયણોને બદલે હર્બલ ઉપચારોથી કાબુ મેળવીએ.
મોલાતને પિયતમાં ગટરના કે નબળાં પાણીથી સિંચાઈ ન કરીએ. પેદાશ ઉત્પન્ન કરવામાં કોઈ કૃત્રિમ હોર્મોન્સનો ઉપયોગ ન કરીએ. અને આપણી પેદાશ સંપૂર્ણ પ્રાકૃતિક રીતે તૈયાર થયેલ છે તેની ખાતરી અપાવવા “ગોપકા” કે કોઈ માન્ય એજન્સીનું સર્ટીફીકેટ પણ મેળવી લીધું હોય તો લોકોને પૂરો વિશ્વાસ આવે. એટલે આપણી પેદાશ લેવા પ્રેરાય.અને એક વખત જે જે લોકો આવી પેદાશ વાપરશે તેઓ ફરી ફરીને ખરીદયા કરશે, અને અન્યોને પણ આ જ પેદાશો ખરીદવાની ભલામણ પણ કરતા રહેશે અને ગ્રાહકો આપણી પેદાશો સામેથી માંગેશે.

























