
પ્રયોગ : કપાસ ખાલાં પુરવાની ઉત્તમ પદ્ધતિ
ધણી વખત બીયારણનો ઉગાવો ધાર્યા પ્રમાણે થતો નથી. તેના કારણે ખેડૂત વાવણી કરે તે પછી ખાલાં પડતાં હોવાથી તે ખૂબ નિરાશા અનુભવતો હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે કપાસ જેવા પાકોમાં ખાલાં પડી ગયાં હોય ત્યાં કપાસ રોપવામાં આવે તો તે બંને છોડ વચ્ચે અંતર રહે છે.
આવી સમસ્યામાંથી ઉકેલ શોધવા વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના કઠોલી ગામના ગોપાલસિંહે પોતાની કોઠાસુઝથી છાણમાંથી કુંડા બનાવી અનોખી પહેલ કરી છે. ગોપાલભાઈના અનુભવ મુજબ *સામાન્ય કુંડાની જેમ જ છાણમાંથી કુંડા બનાવવાનો અખતરો કર્યો અને મને લાગ્યું કે આ કુંડામાં કપાસના છોડ ઉછેરી સીધુ ખેતરમાં રોપાણ કરીએ તો છોડનો ખાતરની સાથે ઝડપી વિકાસ થઈ શકે. વળી ઉનાળામાં ઓછા પાણી સામે અને ભેલાણ તથા ગરમીની તકલીફમાંથી છુટકારો મળે છે. ચાલુ વર્ષે મેં મારા ઘરના ધાબા પર છાણમાંથી બનાવેલા કુંડામાં છોડ ઉછેરી ખેતરમાં કપાસનું સફળતાપૂર્વક વાવેતર કર્યું. આ પદ્ધતિનો બીજો ફાયદો એ છે કે ખાલાં પડવાની સમસ્યા થતી નથી. આમાં છાણનાં કુંડાનો ખેડૂત બીજી રીતે પણ ઉપયોગ કરી શકે છે, જેમ કે ખેતરમા જે દિવસે કપાસનું વાવેતર કર્યું હોય તેના એક-બે દિવસ પછી ધરના ધાબા ઉપર અથવા વૃક્ષના છાયે છાણનાં કુંડામાં જો કપાસ વાવી દઈએ તો જયારે ખેતરમાં ખાલા પડે ત્યારે સરખી ઊંચાઈના છોડ ખાલાં પૂરવા માટે ઉપલબ્ધ હોય. આ પદ્ધતિનો ફાયદો એ છે કે, ખેડુત માટે કુંડા ઘરે બની શકે છે, જે સસ્તી અને પર્યાવરણમિત્ર ટેકનોલોજી છે.
ગુજરાતમાં કન્યાઓ ગૌરીવ્રત કરે ત્યારે વાંસની નાની ટોપલીમાં અથવા નાના કુંડામાં અલગ-અલગ જાતનાં અનાજ કે કઠોળ ઉછેરતી હોય છે. આ જોઈને મને છાણામાંથી બનેલા કુંડા બનાવવાનો વિચાર સુઝયો. અમારે ત્યાં છાણ ઉપલબ્ધ હોવાથી અને ખાતર તરીકે પણ ઉપયોગી હોવાથી છાણામાંથી કુંડા બનાવવાનો વિચાર કર્યો.







