
બનાસકાંઠા જીલ્લામાં દિયોદર ગામે ખેડૂતો સાથેની એક ગોષ્ઠિ દરમિયાન ખબર પડી હતી કે, મરચાંનો બારિક ભૂકો ભૂંડ આવવાના રસ્તા ઉપર છાંટવાથી ભૂંડના નાકમાં તકલીફ થાય અને રસ્તો છોડી ભાગી જાય ! ખેડૂતોને જણાવી ત્યારે એક ખેડૂતે સહજ રીતે પુછ્યું કે સાહેબ, તેના કરતા લાલ ન હોય તેવા સાવ હલકી કક્ષાનાં સૂકાં મરચાંને છાણામાં થાપીએ અને તેનો ધુમાડો કરીએ તો? વાતમાંથી વાત નીકળી અને આ પદ્ધતિ આમ અચાનક જ વિચાર સ્વરૂપે ઉદ્ભવી. અગાઉ નીલગાય અને ભૂંડને ખેતરથી દૂર રાખવા માટે મરેલા પશુના શિંગડા કે ચામડાનો છાણાં વડે ધુમાડો કરવાની પદ્ધતિ તો હતી જ. મરચાનો ઉપયોગ ધુમાડો (ધુપ) કરવા થાય તે વાતવિચાર નવીન છે !
કઠોળ કે મગફળીનો સંગ્રહ જે ઓરડામાં કર્યો હોય ત્યાં ફુદાનો ઉપદ્રવ વધુ થાય છે. એવા સમયે પણ સૂકાં મરચાંનો ધુમાડો સંગ્રહ કરેલ રૂમમાં કરીને પછી બારી-બારણા ખોલી દેવાથી ફૂદાંનો ઉપદ્રવ પણ દૂર થાય છે તેવું અગાઉ જુનાગઢ જિલ્લાના પાણખાણ ગામના ઠાકરશીભાઈ સાવલીયાએ અમને કહ્યું હતું.






















