
મોરિંગાના વાવેતર માટે ૬.પ થી ૮.૦ પીએચવાળી કાળી માટી ખૂબ જ અનુરૂપ છે. જે જમીન પર પાણીનો ભરાવો રહેતો હોય તે મોરિંગા માટે માફક નથી કેમકે ચોમાસાની ઋતુમાં પાણીના ભરાવાથી વૃક્ષો પડવાની સંભાવના રહે છે. મુખ્યત્વે વસંત અથવા તો શરદ ઋતુમાં વાવેતર કરવાથી છોડનું અંકુરણ ઝડપી અને વિકાસ ખૂબ જ સારો થાય છે. જમીનને તૈયાર કરવા માટે હળથી ઊંડી ખેડ કર્યા બાદ જમીન સમતલ કરવી જરૂરી છે. બહુવર્ષાયું પાક હોવાથી તેના મૂળને જમીનમાં સારી રીતે ફેલાવવા માટે ઊંડી ખેડની જરૂર હોય છે.



