
કુદરતને મન તો માટી ખાઇ જાણનારું આંધળું અળસિયું હોય કે મોટી સ્ટીમર જેવડી વ્હેલ માછલી હોય, ફુંક મારે ત્યાં ઉડી જાય તેવડું ખડમાંકડું હોય કે ભરોટુ ચારો ખાધેય ન ધરાતો હાથીરાજ હોય, ત્રાડ સાંભળતાંજ ફફડી મરનારું બિચારવું સસલું હોય કે ત્રાડ દેનાર વિકરાળ જાનવર સિંહ કે વાઘ હોય, અરે ! આખા ભાગોળને બાથમાં લઇ ઊભેલો ઘેઘૂર વડલો હોય કે પછી ટેકરીની ટોચે મરજીવી ઉગેલી દૂબળી-પાતળી લાંપડાની સળી હોય-સૌ સરખા ! સૌને પોતપોતાની શક્તિ પ્રમાણે જન્મવાનો, જ જૂમવાનો અને જીવવાનો સરખો જ અધિકાર!
“કીડી શોધી લે કણ અને કુંજર મેળવી લે મણ” જેને જેટલું જોઇએ તેટલું પોતાની મેળે શોધી લેવાની છૂટ! અને સાથે પાછી દુશ્મનોથી બચવા, તેના હરવા-ફરવાના અને રહેવાના આવાસ જેવો જ શરીરનો રંગ,રૂપ અને ઘાટ બનાવી દઇ, શિકારીના પંજામાંથી છટકવાની પણ આપી રાખી છે પૂરેપૂરી છૂટ! એની કળાનો માનવી કોઇ દિ’ પાર પામી શક્યો છે ખરો ? લીમડાના પાનમાં નભી ખાતું પાંદડા જેવા જ રંગ-રૂપ વાળું તીડકું કે ખડમાં રખડી ખાતું ખડમાકડું એના જ ઉદાહરણો છેને ?
તો પછી “નીંદામણ” પણ છે તો વનસ્પતિ જ ને ? ખેડૂતને મન ભલે તે માથાના દુ:ખાવા સમાન હોય, પ્રકૃતિના દરબારમાં તો એય એટલું જ હકદાર છેને? કેટલાય એવા નીંદામણો છે કે જે મુખ્યપાકની સાથે ઊભા હોય તો ભલભલાને નોખા તારવવા અઘરું પડી જાય! તેના રૂપ, રંગ, ઉંચાઇ, ઘાટ બધું જ સાવ સરખું! દા.ત. ડાંગરમાં ઉગતો ‘સામો’ અને ‘બાવટો’. ડુંગળીમાં ઉગતો ‘ડુંગળો’ અને જીરુમાં ઉગતો ‘જીરાડિયો. અરે, મરચીમાં ઉગતો ‘પોપટો’ પણ આવું જ છેતરામણું વેશધારી નીંદણ છે.
નીંદામણ એટલે શું ? :
નીંદામણ એટલે ખેડૂતની રજા વગર ગમે ત્યાં-મેળબારી ઊગી નીકળતી અને ખેતીપાકને નડતર રૂપ બનતી વનસ્પતિ. નીંદામણ એ કોઇ એક જ વર્ગના ઘાસ કે છોડ નથી. પણ જેને આપણે વાવ્યા નથી એવા આપમેળે ઊગી નીકળતા ઘાસના છોડવા – પછી તે એકદળ વનસ્પતિના હોય કે દ્વિદળના હોય, લાલ પાન વાળા હોય કે લીલા પાન વાળા, ઉંચા વધનારા હોય કે નીચા રહેનારા, અરે ! સળી સળી રૂપે થનારા હોય કે મોટા થુંમડા થઇ પહટનારા ભલેને હોય ! તે બધા જ ખેડૂતને માથાના દુ;ખાવા સમાન અને ખેતીપાકને તેની “શોય” સમાન વહમા છે. જે પાણી, પ્રકાશ અને પોષકતત્વોમાં ભાગ પડાવી જાય છે.
નીંદામણના પ્રકારો = બે રીતે વર્ગીકરણ કરી શકાય.
[1] બીજના દળ પ્રમાણે = [અ] એકદળ = એકદળ એટલે કે બીજ ઉગતા જેનું માત્ર અંકુર જ બહાર આવે-બીજ ધરતીમાં જ રહી જાય. દા.ત. કાળિયું. ખારિયું. લાંપડું, કણેરું વગેરે.
[બ] દ્વિદળ = એટલે કે બીજ ઉગતાંવેત બીજના બે ફાડા સાથે અંકુરણ બહાર નીકળે તે બધા નીંદામણ-જેવાકે ચીલ, કણજરો, નોળી, બાકરકાયો, ઉંદરી, ગોખરું, દૂધલી, તાંદળજો, પેશી, રણમેથી વગેરે
[2] આયુષ્ય પ્રમાણે =[અ] મોસમી નીંદામણ = કોઇ ચોમાસે વધુ ઊગે તો કોઇ શિયાળે – જેની જેવી ખાસિયત અને જેવી અનુકૂળતા- દરેક પોતપોતાના સ્વભાવ પ્રમાણે ઊગી નીકળતા હોય છે.મોટાભાગના મોસમી હોય છે. પછી તેમાં કોઇ એકદળ હોય છે તો કોઇ હોય છે દ્વિદળ. દા.ત. કાળિયું, ખારિયું. બાકરકાયો, ઉંદરી, તાંદળજો- આ બધા ચોમાસે ઉગનારા છે અને જીરાડિયો, રણમેથી, ડુંગળો, ચીલ-જેવા બધા શિયાળે ઉગનારાં નિંદામણો છે.
[બ] બહુ વર્ષીય = સામાન્ય રીતે ગરમ પાણીએ ન ચડે તે મગના દાણા ‘કરડુ’ ગણાય. એમ ચાલુ ઉપાયોથી દૂર ન થાય તે બધા નીંદામણો કાયમી અને નક્કટા ગણાય. જેમ વાઢીએ તેમ ખિજાઇને બમણો ઉપાડો લે ! દા. ત. ધરો,ચીઢો,ડાભ,નોળી
નીંદામણ નડે કેવી રીતે ? ખેતીપાકના ૧૦૦ દાણા વાવીએ અને એમાંથી ૯૦ ઊગી જાય એટલે તેની સ્ફૂરણશક્તિ વખાણવા લાયક ગણાય. તો જેનો એક પણ દાણો [બીજ] દાણો વાવ્યો નથી તે બધા હજારોની સંખ્યાંમાં ઊગી નીકળે એને કેવું ગણશું કહો ! નીંદામણના બીયાનું આવું ઉદાર ખાતું છે. વરસાદ અગર પિયતથી યોગ્ય ભેજ મળ્યો નથી કે ડોકું કાઢ્યું નથી ! અસંખ્ય રીતે કીડિયારાની જેમ ઉગી નીકળે ! ભગવાન જાણે-ક્યાં સંગ્રહાતું હશે આટલું બધું બીજ ? ઉગાવો પણ પાકના બીયાંની પહેલાં જ લઇ લે ! અને કબજો જમાવી લે ધણા ખરા વિસ્તારમાં તો એવો કે. જો તકેદારીમાં થોડીકેય બેદરકારી રહી ગઇ? તો 23 થી 63 ટકા, અરે ! જીરુ જેવા ઝીણા પાકમાં તો સોએસો ટકા પાકનો નાશ નોતરી દઇ શકે છે બોલો !
નીંદામણ પાકની સાથે ખોરાક, પાણી તથા પ્રકાશ બાબતે હરિફાઇમાં ઉતરે છે. એમાંય જ્યારે પાણી કે ખાતર માહ્યલા એકાદ પાસાની ખેંચ હોય ત્યારે તો વધુ હોમી ખાય છે.અપાએલા કુલ ખાતરોમાંથી પાક તો હજુ વિચારી વિચારી જોયતા પૂરતું વાપરવાની ગણતરીમાં હોય ત્યાં તો 30-40 ટકા જેવો જથ્થો તો નીંદણો જ તફડાવી જઇ બહેકી જતા હોય છે. વળી પડતામાં પાટુની જેમ પાકની નુકશાન કારક જીવાતોને આશરો આપી કાળો કેર મચાવવાની સગવડ પૂરી પાડે એતો વધારામાં !
નીંદામણ વધુમાં વધુ ક્યારે નડે ? = આમતો એ સુઘરી નારના માથામાં પડેલી જૂ કે દુબળા પશૂને ચોટેલી ઇતરડીથી પણ વધુ વહમીરીતે પાકને આજીવન કાળ દરમ્યાન નડતરરૂપ હોય છે.પણ પાકના બાળપણમાં એટલે કે એની જીંદગીની શરૂઆતના 1/3 ગાળા દરમિયાન નીંદણ જેટલા પ્રમાણમાં પાકને મુંઝવી શકે છે એટલા પ્રમાણમાં પાકની યુવાવસ્થા કે પાકટ અવસ્થાએ નડતરરૂપ બની શકતાં નથી. એટલે નીંદામણ કેટલી વાર કાઢીએ છીએ તેના કરતા તેને ક્યારે કાઢીએ છીએ તે ખેડૂતને મન અગત્યનું હોવું જોઇએ.
નીંદામણ ઓછું ઊગે અને ઓછું વિકસે એ માટે શું કરશું ?

(અ) ભૌતિક રીતો = [1] પાક પૂરો થયે જમીન ઉથલાવીને ફેરવી નાખે તેવી ઊંડી ખેડ કરવાથી જમીનની ઉપલી સપાટીમાં ખરેલાં બીજ ઊગી ન શકેતેટલા ઊંડા ધરબાઇ જાય છે ને ચીઢો,ધરો,નોળી જેવાં નીંદામણો મૂળસોતા નાશપામે છે
[2] ભાલની ડાંગર-ઘઉંની ક્યારીઓમાં ચોમાસે પાણી ભરી રાખવાથી બીજ સડી જાય છે.
[3] ખૂબ ઝડપથી વધતા લીલા પડવાસ જેવા પાકો વારાફરતી જમીનમાં વાવતાં રહેવાથી નીંદામણ દબાઇ રહેશેઅને લીલા પડવાસનો પાક ખેડતાં સાથોસાથ જમીનમાં દબાઇ તેનું ખાતર થઇ જશે.
[4] મોલાતના પાટલામાં વારંવાર આંતરખેડ કરતાં રહેવું અને ચાસમાંથી દાતરડીથી બને એટલી ઊંડાઇએથીનીંદતા રહેવું.
[5] એકનો એક પાક વારંવાર એનીએ જમીનમાં નહીં વાવતા પાકની ફેરબદલી કરતા રહેવું.
[6] ખાતર આપવાની પધ્ધતિ પુંકવાની નહીં રાખતાં બને ત્યાં સુધી ખાતર ચાસમાં ઓરીને આપવું.
[7] શક્ય હોય ત્યાં સુધી ટપક પિયત પધ્ધતિથી પિયત આપવાનું ગોઠવવું જેથી નીંદામણ ઓછું ઊગશે.
[8] “ચોકડી પધ્ધતિ” થી કપાસ, દિવેલા, તુવેર જેવા પાકો વાવવાથી બન્નેબાજુ સાંતી ચલાવાય તો નીંદામણનો ત્રાસ ઘટે.
[9] બહુ નીંદામણ થતું હોય તે જમીનમાં નીંદણને ઢાંકી દે તેવા વેલાવાળા પાકોનું વાવેતર કરીએ.
[બ] રાસાયણિક રીતો = કેટલાક એવા રસાયણો હવે નીકળ્યાં છે કે જે જમીનમાં પાક ઊગતા પહેલાં છાંટી દીધાં હોય તો પસંદગીના અમુક પાકો ઊગે પણ નીંદામણો ન ઊગે કે ઓછા ઊગે. દા.ત. જીરુમાં અગાઉ બાસાલીન દવા છંટાય. વળી કેટલાંક એવાં રસાયણો છે કે જે ઊભા પાકમાં છાંટીએ તો અમુક વર્ગના છોડ બચી જાય અને અમુક વર્ગના મરી જાય.ક્યા પાકમાં ક્યુ રસાયણ છાંટવું તે, ખેડૂતની જાણકારી બહારની વાત હોય તો તજજ્ઞ પાસેથી જાણકારી મેળવીનેજ પગલું ભરવું.
એકદળ પાકોમાં શું કરવું ? શેરડી,ઘઉં, મકાઇ, ડાંગર, જુવાર,બાજરી વદેરે એકદળ પાકોમાં વાવણી બાદ તરતજ ભેજવાળી જમીનમાં એસ્ટ્રજીન યોગ્ય માત્રામાં છાંટવાથી સાટોડી તથા દ્વીદળ પ્રકારના બધાં જ ઝીણાં નિંદામણોનો નાશ થાય છે.અને પાક 25-30 દિવસનો થાય પછી 2-4-ડી ના છંટકાવથી અંદરઊભેલાં દ્વીદળ નીંદામણો મરણને શરણ થાય છે.
દ્વીદળ પાકોમાં શું કરવું ? [1] કોરી જમીનમાં વાવણી પૂર્વે અગર વાવણી પછી તરત જ જમીનમાં પેંડીમિથાલીન, ફ્લુકોશ્લીન, એલાક્લોર કે મેટાક્લોર યોગ્ય માત્રામાં છાંટી દેવાથી નીંદણને ઊગવામાં જ બાધા પડે છે. રજકા જેવા પાકમાં આવતી અમરવેલનો નાશ કરવા વાઢ લઇ લીધા પછી યુનીક્વોટનો છંટકાવ અસરકારી નીવડે છે.
[2] કપાસ જેવા દ્વીદળ પાકોમાં ઊભા પાકમાં “ટર્ગાસુપર” જેવી દવા છાંટવાથી ધરો, ચીઢો જેવા એકદળ નીંદણોનો નાશ કરી શકાય છે.
નકટાં નીંદણોનો નાશ કેમ કરવો ? ધરો,ચીઢો, ડાભડો, નોળી જેવા ખૂબ જ ઠોઠડાં નીંદણોને મારવા હોય તો પાકની ગેરહાજરીમાં અને નીંદણની કૂણી અને લીલી અવસ્થામાં તેનાં બધાં જ પાન સારી રીતે ભીંજાઇ જાય એ રીતે ગ્લાયસેલ કે રાઉંડઅપ જેવા આંતરશોષિત રસાયણો છાંટ્યાં હોય તો તે મૂળ સુધી પ્રસરી જઇ તેનો મૂળસોતો નાશ નોતરે છે. બગીચાના ઝાડનાં ખામણાંમાં નીંદામણો મારવામાં પણ આનો ઉપયોગ કરી શકાય.
હવે તો જુદા જુદા નામધારી કેટલાય નિંદામણ નાશકો બજારમાં પહોચી ગયા છે. પૂરતો અભ્યાસ કરીને જ ઉપયોગ કરવો
આવા રસાયણો ભલામણ કરેલા પ્રમાણમાં, યોગ્ય નોઝલથી, વરસાદ ન વરસતો હોય ત્યારે અને પૂરતા સૂર્યપ્રકાશની હાજરીમાં, પાછા પગે હાલીને, નીંદણનાં લીલા અને કૂમળાં તમામ પાંદ ભીંજાઇ જાય એ રીતે છંટકાવ કરાય. હવે તો જુદા જુદા નામધારી કેટલાય નિંદામણ નાશકો બજારમાં પહોચી ગયા છે. એટલે કોઈ તાજજ્ઞને પૂછી-પૂરતો અભ્યાસ કરીને જ ઉપયોગ કરવો તેમાં જરાપણ ગફલત રહીજવા પામેતો આંખનું કાજળ ગાલે ઘસાઇ જવાનો પૂરો ભય અને ફાયદા કરતાં નુકશાન વધારે થવાની શક્યતા ભારોભાર રહેલી છે તે ખ્યાલ બહાર રહી જવા ન પામે તેનું ધ્યાન રાખવું.













