
કેટલાક ખેડૂતોની યુરીયા ખાતર અને પિયતનું પાણી આપવાની રીત ખામી ભરેલી હોય છે. સામાન્ય રીતે પિયતનું પાણી આપ્યા બાદ વરાપ થયો યુરીયા ખાતર જમીનમાં આપી તેને માટીમાં ભેળવવાની સલાહ આપવામાં આવે છે. આ પ્રમાણે વાપરવાથી યુરીયા ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. તેનાથી વિપરીત કેટલાક ખેડૂત યુરીયા ખાતર આપ્યા બાદ તરત જ પિયત આપે છે. તેથી યુરીયા ખાતરનો કેટલોક ભાગ નિતાર દ્વારા જમીનમાં નીચે ઉતરી જાય છે. જે પાકને કામમાં લાગતુ નથી. તે સિવાય કેટલાક ખેડૂતો ડાંગરની કયારીમાં પૂર્તિ ખાતર તરીકે યુરીયાનો ઉપયોગ કરે છે. આમા પણ યુરીયાનો નિતાર દ્વારા વ્યય થાય છે. આ પ્રમાણે જો યુરીયા વાપરવુ હોય તો કયારીમાંથી વધારાનું પાણી નિતારી નાખવું અને યુરીયા ખાતરને માટીની, ખોળની કે લીંબોળીના તેલ (ર%)ની માવજત આપી પછી જ વાપરવાથી સલાહ આપવામાં આવે છે. શક્ય હોય ત્યાં ડાંગરની કયારીમાં યુરીયાને બદલે એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાની ખેડૂતોને સલાહ આપવામાં આવે છે.









