
કૃષિ વિજ્ઞાન માર્ચ 1978 વિશેષાંકમાં પ્રસિદ્ધ થયેલ લેખ આજે પણ પ્રસ્તુત છે. એ વર્ષોમાં કૃષિવિજ્ઞાન ખેડૂતોને નીમકોટિન્ગ યુરિયાની વાતો કરતુ હતું- કૃષિ વિજ્ઞાન હંમેશા ખેડૂતની સાથે….
નાઇટ્રોજનને કરકસરયુકત વપરાશઃ પાક ઉત્પાદનમાં પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન તત્વની આવશ્યક્તાનો સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે સ્વીકાર થયેલ છે. એટલું જ નહીં ખેત ઉત્પાદનમાં એ એક અતિ કિંમતી પૂરવાર થયેલ હોઈ એનો કાર્યક્ષમ ઉપયોગ કરવો તે ખૂબ મહત્વની બાબત બને છે યુરીયા ફર્ટિલાઈઝરમાં ૪૬ ટકા નાઈટ્રોજન છે અને કુલ નાઇટ્રોજન ઉત્પાદનમાં તેનો ૭૦ ટકા જેટલો ફાળો છે.
ડાંગર જેવા પાકોમાં યુરિયા નાઇટ્રોજન ૧૦ થી ૩૪ ટકા જેટલો ઉપયોગમાં આવે છે. બાકીનો ઝમણ તથા બિનનાઈટ્રીકરણ (નાઈટ્રેટ યા નાઈટ્રાઈટનું મુકત નાઇટ્રોજનમાં રુપાંતર થવું તે) દ્વારા નાશ પામીને છોડને મળતો હોતો નથી. આ પ્રકારનું નુકસાન નાઈટ્રીકરણ નિષેધવાચકનો ઉપયોગ કરીને ઓછું કરી શકાય છે.લીમડાના ખોળમાં નાઈટ્રીકરણ નિષેધવાચકનો ગુણધર્મ રહેલો છે.
ડાંગર અને શેરડી જેવા પાકોમાં ધોવાણ ઝમણ વગેરે દ્વારા થતા નાઈટ્રોજનના ધ્યેયને ઘટાડી તેને મહત્તમ કાર્યક્ષમતા જાળવવા નાઈટ્રોજનનું ત્વરિત નાઇટ્રીકરણ રોકીને ધીમે ધીમે એક સરખું પાકને મળે એવું કરવાની અત્યંત આવશ્યકતા છે. અખતરાઓ પરથી એવું જણાયું છે કે નાઈટ્રીકરણના નિષેધવાચક તરીકે વપરાયેલ લીમડાના ખોળથી બંને પાકોનું ઉત્પાદન વધવા પામ્યું હતું. એટલું જ નહીં નાઇટ્રોજન તત્વની કુલ વપરાશમાં ૨૫ થી ૫૦ ટકા જેટલી કરકસર કરી શકાઈ હતી.









