એક માણસ સિવાયના અન્ય જીવોએ મોટેભાગે પ્રકૃતિના આદેશોને અનુસરીને જ જીવન જીવવાનું હોય છે. એટલે જે તે જીવને કેવી કેવી જરૂરિયાત રહેવાની છે એની બરાબરની ખેવના કરીને દરેક વર્ગના પશુ-પ્રાણીને તેઓના શારીરિક અંગ-ઉપાંગોમાં જરૂરી ફેરફારો અને વિશિષ્ટતાઓ પણ બક્ષી છે.
આપણા રહેણાકી વિસ્તારો (ગામડાં-શહેરો)-ખેડૂતોના ખેતર- વાડીઓ અને ધાર-ટેકરા કે જંગલ વિસ્તારોમાં ગાય-ભેંશ અને ઘેટાં-બકરાં વર્ગ, ઘોડા-ગધેડાં કે કૂતરાં-બિલાડા વર્ગ, અરે આગળ વધીને જંગલમાં વસનારા હરણાં-શિયાળવા અને સસલાં, વાઘ-વરુ-સિંહ-જીરાફ જેવા પ્રાણીઓના શરીરના બાંધા બાબતે નજર કરશું તો તેના અંગ-ઉપાંગોમાં અન્યો કરતાં ઊડીને આંખે વળગે એવા ફેરફારો પ્રકૃતિ તરફથી અપાએલા છે તે ભળાયા વિના નહીં રહે. ચાલો આપણે એ સમજવાની કોશિશ કરીએ કે પ્રકૃતિએ આવું શા માટે કર્યું હશે ?


















