
આ રોગ ધરૂવાડીયામાં આવે જ નહી તે માટે સેન્દ્રિય ખાતરો જેવા કે છાંણિયુ ખાતર, દિવેલીનો ખોળ વગેરે જમીનમાં અવશ્ય નાંખવા જેથી જમીનની ભેજ સંગ્રાહક શકિત વધે. * ધરૂવાડીયામાં પાણીનું સમતોલ ભરણ રહે તેવી વ્યવસ્થા કરવી. આખા ધરૂવાડીયામાં એક સરખો ભેજ જળવાઈ રહે તે માટે યોગ્ય પિયત અને નિતાર વ્યવસ્થા ગોઠવવી. રોગ જણાય ત્યારે ધરૂવાડીયામાં ઉપરા ઉપરી બે ત્રણ વખત પાણી ભરીને ખાલી કરવાથી ક્ષારો ધોવાઈ જાય છે.
પાણી ભરવાની પુરતી સગવડ ન હોય તો ૧૫ લિટર પાણીમાં ૬૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકણી) + ૩૦ ગ્રામ ચૂનાનું મિશ્ર દ્રાવણ બનાવી ધરૂવાડીયામાં પાન ઉપર છંટકાવ કરવો ત્યારબાદ જરૂર જણાય તો એક વખત ગૂંઠા દીઠ ૫૦૦ ગ્રામ નાઈટ્રોજનનો વધારાનો હપ્તો એમોનીયમ સલ્ફેટ ખાતરના રૂપમાં આપવો. ડાંગર (ધરૂ) : પાનનો કરમોડી (લીક બ્લાસ્ટ) ધરુ નાખતાં પહેલાં બીજને ૧ કિ.ગ્રા. દીઠ ૨ ગ્રામ કાર્બેન્ડાઝીમ પ્રમાણે પટ આપવો.
રોગ પ્રતિકારક શકિત ધરાવતી જાતો જેવી કે જી.એ.આર.-૧, જી.એ.આર.-૨, જી.એ. आर.-3, જી.એ.આર.-૧૩, મહિસાગર, આઈ. આર.-૨૮, જી.આર.-૭, નવાગામ-૧૯, જી.આર.-૧૦૧, જી.આર.-૧૦૨, જી.આર.-૧૦૪, જી.આર.-૧૨, નર્મદા, જી.આર.-૬, જી.એન. આર.-૩, આઈ.આર.-૩૬ અને મધ્યમ રોગ પ્રતિકારક શકિત ધરાવતી જાતજી.એ.આર.-૧૪, જી.એન.આર.-૭,જી.આર.-૧૫ અને જી.આર. એચ.-ર જેવી જાતોનું વાવેતર કરવું. પાકમાં ભલામણ કરતાં વધારે નાઈટ્રોજન યુકત ખાતરો વાપરવા નહી. ખેતરની આજુબાજુના શેઢાપાળા પરનું ઘાસ કાઢીને ચોખ્ખા રાખવા.
* સ્યૂડોમોનાસ ફલુરોસંસ ૬ મિ.લી પ્રતિ ૧ લિટરના બે છંટકાવ કરવો. પહેલો છંટકાવ રોગની શરૂઆત થાય ત્યારે અને બીજો છંટકાવ કંટી નિકળવાના સમયે કરવો. આ રોગ પાકમાં દેખાય કે તરત જ ૦.૦૪૫% ટ્રાયસાયકલાઝોલ-૭૫ વે.પા.(૧૫ લિટર પાણીમાં ૮ ગ્રામ) અથવા ૦.૦૫% કાર્બેન્ડાઝીમ-૫૦% વે.પા.(૧૫ લિટર પાણીમાં ૧૫ ગ્રામ) પ્રતિ હેક્ટરે ૪૦૦ થી ૫૦૦ લિટર મુજબ છંટકાવ કરવો.















