
‘નર’ પપૈયાના થડમાં લાકડા કે લોઢાની ફાડ મારી દઈએ એટલે એ ‘નર’ ઝાડને પણ ફળો લાગવા માંડે છે :
હા, થોડા ઘણા અંશે આ વાત સાચી છે, પણ એ ન સમજાય તેવો ચમત્કાર નથી. મધપૂડામાં ઈંડા મૂકવાનું કામ માત્ર ‘રાણીમાખી’ જ કરતી હોય છે. વળી આખી વસાહતમાં રાણી તો એક જ હોય છે. થોડી નર માખીઓને બાદ કરતાં બાકીની બધી જ માખીઓ જે સ્વયંસેવકની ફરજ બજાવતી હોય છે, તે બધી નપુંસક હોય છે, પણ જયારે રાણીમાખીનું જીવન ઓચિંતાનું સમાપ્ત થવાની ઘટના બને છે ત્યારે વસાહતને જાળવી રાખવાના અદમ્ય આશયથી આવા સ્વયંસેવકો પોતે પણ કયારેક ઈંડા મુકવા લાગી જાય છે. પણ તે નિર્જીવ હોવાથી તેમાંથી માખીઓ બનથી નથી. કંઈક એમ જ…
નર પપૈયાને સામાન્ય પરિસ્થિતિ માં ફળો લાગતાં નથી. પણ જયારે આપણે એના થડમાં લોઢું કે લાકડું-ફાટ પાડીને ભરાવી દઈએ, ત્યારે એને ઈજા પહોંચે છે. એની જીંદગી જોખમમાં મૂકાઈ જાય છે. એને ‘અકાળે મૃત્યુ આવી જશે’ એવો ભય લાગે છે. એના મનમાં ચિંતા ઉદભવે છે કે ‘અરેરે ! બચ્ચાં (બિયાં) પેદા ન થયા અને મારે મરી જવાનું થશે ! વંશ વહ્યો જશે તો ?’ એટલે નર ફુલોની વચ્ચે માદા ફુલો ખિલવા માંડે છે અને બીજ પેદા કરવાનો પ્રયત્ન શરૂ કરે છે. નર પપૈયો આવા માદાફૂલો તો ખિલવે છે પણ તે સંપૂર્ણ અવયવો વાળા ન હોવાથી બંધાયેલા ફળમાં બિયાં ઉત્પન્ન થતાં નથી. બરાબર નિરીક્ષણ કરજો ! નર પપૈયાના ઝાડને જે ફળો લાગેલાં હશે, તે લાંબી દાંડી પર ઘાટઘૂટ વિનાના અને અંદર બિયાં ન હોય તેવા માલુમ પડશે. પ્રકૃતિ સૌ જીવમાં પોતાનો વંશ ચાલુ રાખવાની જે અદામ્ય ઈચ્છા મુકી છે તે આના પરથી સાબિત થાય છે.









