
દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે બીટી કપાસમાં ૩ ટકા પોટેશિયમ નાઈટ્રેટ (KNO3)ના ૩ છંટકાવ (ફૂલભમરી, ફૂલ અને જીંડવાના વિકાસની અવસ્થાએ) કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.
દક્ષિણ ગુજરાતના બીટી કપાસ ઉગાડતા ખેડૂતોને કપાસના પાન લાલ થતા અટકાવવા ફૂલ બેસવાનીઅવસ્થાએ ૧% યુરીયા તથા ૧% મેગ્નેશિયમ સલ્ફેટનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવી છે.
મધ્ય ગુજરાતના ખેડૂતોને બીટી કપાસના પાકમાં રાતડા અને દેહધાર્મિક સુકારાના રોગમાં છોડ પર યુરિયા, ફેરસ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ (દરેકના ૫૦ ગ્રામ/૧૦ લિટર પાણી)નો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. વધુમાં બીટી કપાસમાં મેગ્નેશિયમની ઉણપ નિવારવા ૧% મેગ્નેશિયમ સલ્ફેટનું દ્રાવણ બનાવી વાવણીના ૯૦ દિવસે છોડ પર છંટકાવ કરવાની ભલામણ છે.
દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં બીટી કપાસનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત સરકારે પ્રમાણિત કરેલ માઈક્રોન્યુટ્રીસન્ટ ગ્રેડ-૪ (લોહ ૪%. મેંગેનીઝ ૧%, ઝીંક ૬%, કોપર ૦.૫% અને બોરોન ૦.૫%)ના ૧% દ્રાવણનો કપાસની વાવણી બાદ ૪૫, ૬૦, ૭૦ અને ૯૦ દિવસે છંટકાવ કરવો. તે સિવાય કપાસની ફૂલ અવસ્થા, જીંડવા અવસ્થા અને જીંડવાના વિકાસની અવસ્થાએ ૧% રાસાયણિક ખાતર ૧૯:૧૯:૧૯ એનપીકેનો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે.
દક્ષિણ ગુજરાતના બીટી કપાસની ખેતી કરતાખેડૂતોને વધુ ઉત્પાદન મેળવવા માટે પાકને ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત કેળના થડમાંથી બનાવેલ સેન્દ્રિય પ્રવાહી ખાતરના ૨% દ્રાવણનો ફૂલ અવસ્થાએ છંટકાવ કરવો અથવા તો પોટેશિયમ નાઈટ્રેટના ૩%ના દ્રાવણના ૩ છંટકાવ (પ્રથમ છંટકાવ ફૂલભમરી અવસ્થાએ, બીજો છંટકાવ ફૂલ ખીલવવાની અવસ્થાએ અને ત્રીજો છંટકાવ ઝીંડવા બેસવાની અવસ્થાએ) કરવાની ભલામણ કરવામાં આવે છે.






















