
વસંત ઋતુમાં એટલે કે ફેબ્રુઆરી ઉતરતાં ઉતરતાં આમળાં-ઝાડનાં પાન તદ્દન ખરી જાય છે. ઝાડ એવાં થઈ જાય છે, જાણે બિલકુલ ઠુંઠા જ જોઇ લ્યો, ! પછીથી નવી ટુંકી ટુંકી દાંડલી ઉપર નાનાં નાનાં પાન અને એની બગલમાંથી શરૂઆતમાં નકરાં નર અને છેલ્લે છેડે છેડે એક, બે, ત્રણ કે ચાર માદા પુષ્પો ખીલે છે. માર્ચ પૂરો થતાં અને એપ્રિલ શરૂ થતાંમાં ફૂલોમાં ફલીકરણ થઈ જઈ એકદમ નાનું ગર્ભફળ [ભ્રૂણ] તૈયાર થઈ સૂઈ જાય છે.અને એકદમ આરામમાં પડી રહે છે. વૃક્ષોને જોતાં આપણને એમ લાગે કે આટલાં બધાં ફૂલો હતાં અને બધું ગયું ક્યાં ? પણ આરામનો સમય પૂરો થતાં ચાર-સાડાચાર મહિને એ બાળફળ ઊંઘ ઉડાડી જાગૃત થાય છે, અને માંડે છે વિકસવા- મગ જેવડાં… ચણા જેવડાં….સોપારી જેવડાં થતાં થતાં ઓક્ટોબરના અંત સુધીમાં પરિપક્વ થઈ ખિલખિલાટ કરવા લાગી જાય છે. આ ઝાડનો સવભાવ જ એવો છે કે એમાં એના બાળફળને ચારેક મહિના સુશુપ્તાવસ્થા [ડોરમન્સી] માં પોઢાડી રાખે છે.






















