
વૃક્ષોમાં ફૂલો ખીલવાની વેળાને “બહાર” કહેવાય છે. વરસના બાર મહિનાઓમાં વૃક્ષોમાં ફૂલો ખીલવવાની વેળાઓ હોય છે મૂખ્યત્વે ત્રણ. બહારની ઋતુઓ ઓળખવા તેને તે વખતની પરિસ્થિતિ મુજબ જુદાજુદા નામ રાખ્યા છે. આંબામાં જે વખતે મહોર આવે તે વેળાને “આંબેબહાર” કહેવાય. એ સમય હોય છે ડીસે-જાન્યુઆરી માસનો. ફૂલોના આવિર્ભાવનો બીજો સમયગાળો જૂન-જૂલાઇ માસનો છે, જે વખતે “મૃગ” નક્ષત્ર ચાલતું હોવાથી આ બહારને “મૃગબહાર” નામ અપાયું છે. અને “હસ્ત” નક્ષત્રમાં એટલે કે ઓક્ટો-નવેમ્બરમાં જે ફૂલો પ્રગટે તેને “હસ્તબહાર” ના નામથી ઓળખવામાં આવે છે.





















