
નઠારાં પાણીથી પાકને પિયત
“વધુ પાણી તો વધુ ઉત્પન્ન” ના ખોટા ગણિતે જ પહેલા કૂવાના તળ તળિયે પહોંચાડ્યા પછી બોરવેલની ભેર લઇ ધરતીનું પેટાળ વિંધવા માંડ્યા, અને છાતીના અમી ખૂટ્યા તો નાભીએ પહોંચી કહોને લોહી-મોળાં, ભાંભળાં, ખારાં, કડવાં અને ઉનાં ફળફળતાં પાણી, અરે ! પાણી નહીં, પાણી જેવાં, વરસો જૂનાં-ઝેરી ખનીજોથી રસાંયેલાં એવાં પ્રવાહી કાઢ્યાં અને મોલાતોને માંડ્યા છીએ પાવા. જે પાણી આપણે ન પી શકીએ, ઢોરાં ન પીવે, તેવાં પાણી છોડ-ઝાડને સિંચવા લાગ્યા છીએ. જેનાથી જમીન અને એનું બંધારણ, અંદરની વનસ્પતિને સહાયક બનતી જીવસૃષ્ટિ ખતમ થવા લાગી છે. તમે માનશો ? કોઇ કોઇ ઊંડા દારના પાણી જે જમીનમાં પિયત અર્થે અપાયાં છે, ત્યાં પાંચ-સાત વરસે જમીનની સામુ જોવાનું જ મટી ગયું છે. ખેતીપાકો તો શું, અડબાઉ ખડ પણ ઊગી શકતું નથી.















