
ઘણી વખત જમીનમાં લોહતત્ત્વની ઉણપને લીધે મગફ્ળીના પાકમાં પીળાશ દેખાય ત્યારે ૧૦ લિટર પાણીમાં ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકસી) અને ૧૦ ગ્રામ સાયટ્રીક એસિડ (લીંબુના ફૂલ) ઓગાળી તેનો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના ચોમાસુ મગફ્ળીનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત ૦.૨% બોરીક એસિડ અથવા ૦.૨% નેનો બોરોન (૨૦. મિ.લિ./૧૦ લિટર પાણીમાં)ના ૩ છંટકાવ (વાવેતર બાદ ૩૦, ૪૫ અને ૬૦ દિવસે) કરવાથી વધુ ઉત્પાદન મળે છે.
ઉનાળુ મગફ્ળી ઉગાડતા દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે પાકની સારી વાનસ્પતિક વૃદ્ધિ તથા વધુ ઉત્પાદન મેળવવા વાવણી બાદ ૩૫ અને ૭૦ દિવસે ઝીંક સલ્ફેટ (૨.૫ કિલો/૫૦૦ લિટર પાણી)નો છંટકાવ કરવો. મધ્ય ગુજરાત વિસ્તારની જાત અને લોહ તત્ત્વની મધ્યમ લભ્યતા ધરાવતી જમીનમાં ઉનાળુ મગફળી ઉગાડતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે પાકની વાવણી બાદ ૧૫, ૩૦ અને ૪૫ દિવસે સરકાર દ્વારા નોટીફાઈડ થયેલ ગ્રેડ-૧ સમકક્ષ સૂક્ષ્મ તત્ત્વોના મિશ્રણ (લોહ ૨%, મેંગેનીઝ ૦.૫%, જસત ૪%, તાંબુ ૦.૩% અને બોરોન ૦.૫%) ૧.૫ ટકાના દરે છંટકાવ કરવાથી પાક-ઉત્પાદનમાં વધારો થાય છે.

























