
મગફળી માં ચુસિયા પ્રકારની જીવાતોમાં મુખ્યત્વે મોલો-મશી, તડતડિયા (લીલી પોપટી), થ્રીપ્સ, સફેદ માખી અને લાલ કથીરીનો ઉપદ્રવ વધારે હોય છે. આ કીટકો પાનમાંથી રસ ચુસી નુકસાન કરે છે. જીવાતોના સંકલિત નિયંત્રણ માટે પાકની શરૂઆતની અવસ્થાએ આ જીવાતોના નુકસાનથી પાકને બચાવવા માટે ઈમિડાક્લોપ્રીડ ૬૦૦ એફ.એસ. ૩ ગ્રામ/કિલો બીજ અથવા થાયોમિોક્ષામ ૭૦ ડબ્લ્યુ.એસ. ૧ ગ્રામ/ કિલો બીજ પ્રમાણે બીજ-માવજત આપવી. બીવેરીયા બેસીયાના નામની ફુગનો પાવડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. તેમજ ઊભા પાકમાં ઉપદ્રવ વધુ જણાય ત્યારે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮% એસ.એલ. (૫ મિ.લિ.) અથવા એસીટામીપ્રીડ ૨૦ એસ.પી. (૫ ગ્રામ) અથવા થાયોમીથોકઝામ ૨૫ ડબ્લ્યુ.જી. અથવા ડાયફેન્ઝ્યુરોન ૫૦ એસ.પી. (૧૫ ગ્રામ) ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસ પછી બીજ છંટકાવ કરવો. પાનકથીરીના અસરકારક નિયંત્રણ માટે ફેનાઝાક્વીન ૧૦ ઈ.સી. ૧૫ મિ.લિ. દવા ૧૫ લિટર પાણીમાં ભેળવીને દરેક પાન પર છંટાય તે રીતે છંટકાવ કરવો.


























