
ખેત પેદાશની ગુણવત્તા આજે સારા ભાવ મેળવવા અને આયાત-નિકાસમા પાયાનો માપદંડ છે. ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદનની ગ્રાહકો તરફ્થી માંગ રહેતી હોય છે, જેમની ઊંચી કિંમત આપવા તૈયાર હોય છે. સજીવ ખેતી દ્વારા પાકેલ ઘઉં, બાજરા અને કઠોળ વગેરેનો વધુ ભાવમળી રહેતો હોય છે. ખેત પેદાશોની નિકાસ માટે પણ યોગ્ય ગુણવત્તાનું ઉત્પાદન મેળવવું ખુબ જ જરૂરી છે. આ માટે ખેડૂતો મિત્રોએ નીચે મુજબની ભલામણોનો અમલ કરવો જોઈએ. • બજારોમાં માંગ હોય તેવી નિકાસલક્ષી અને વધારે ઉત્પાદન આપતી જાતોની વાવણી કરવી જોઈએ • જંતુનાશક દવાઓનાં અવશેષોરહિત કૃષિ પાકોનું ઉત્પાદન મેળવવા માટે સંકલિત જીવાત નિયંત્રણ, જૈવિક નિયંત્રણ, સજીવ ખેતી અને રોગ પ્રતિકારક જાતોનું વાવેતર વગેરે જેવી બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. • કૃષિ પેદાશોની કાપણી, લણણી અને વીણી જેવા કાર્યો માટે યાંત્રિકરણ અપનાવવું જોઈએ જેથી ગુણવત્તામાં સુધારો અને ઓછો બગાડ થાય. • કૃષિ પેદાશોની કાપણી બાદ ખેતરે અથવા ગામમાં જ ખેત પેદાશોનું ગ્રેડિંગ, વર્ગીકરણ અને સ્ટાન્ડર્ડાઇઝેશન થાય એવો પ્રયત્ન કરવો. • કરાર ખેતી પદ્ધતિથી અમુક ખેત પેદાશોની ગુણવત્તામાં નિશ્ચિત ફેરફારો લાવી શકાય. સહકારી મંડળીઓ અને ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO)માં જોડાઈને ખેત પેદાશોની ગુણવત્તામાં સામૂહિક પ્રયત્નોથી સુધારો લાવવો જોઈએ





















