
સંશોધન દ્વારા આપણે જાણી શક્યા છીએ કે, છોડને તેના પોષણ અને વૃદ્ધિ માટે ૧૮ પોષક તત્ત્વોની જ જરૂરિયાત રહે છે. આ નક્કી થયેલા આવશ્યક પોષક તત્ત્વોનું વર્ગીકરણ છોડની જરૂરિયાતની માત્રા મુજબ તથા જમીનમાં તેની ઉપલબ્ધતાને આધારે કરવામાં આવે છે. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમની છોડને બહોળા પ્રમાણમાં જરૂરિયાત હોવાથી આ તત્ત્વોને મુખ્ય પોષક તત્ત્વો તરીકે ઓળખવામાં આવે છે. મધ્યમ જરૂરિયાતવાળા તત્ત્વો જેવાં કે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ગંધકને ગૌણ તત્ત્વો ગણવામાં આવે છે. તે ઉપરાંત વનસ્પતિને આયર્ન (લોહ), મેંગેનીઝ, ઝીંક (જસત), કોપર (તાંબુ), બોરોન, મોલિબ્ડેનમ જેવાં તત્ત્વોની જરૂરિયાત અલ્પ પ્રમાણમાં હોવાથી અને જમીનમાં ઉપલબ્ધતા પણ ઘણી જ ઓછી હોવાથી આ જૂથના તત્ત્વોને સૂક્ષ્મતત્ત્વો કહેવામાં આવે છે.ટૂંકમાં છોડને જરૂરિયાત ઓછી મતલબ સૂક્ષ્મ એટલે સૂક્ષ્મતત્ત્વો.

























