
ઈસબગુલ એ શિયાળુ પિયત પાક છે તે રેતાળ અને ગોરાડુ જમીનમાં થાય છે. જે જમીનની નિતારશક્તિ ઓછી હોય તેવા પ્રકારની જમીન આ પાકની વૃદ્ધિ માટે અનુકૂળ નથી. તેને સૂકું અને ઠંડુ હવામાન માફ્ક આવે છે.
આ પાકની વાવણી ૨૦ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર દરમ્યાન કરવામાં આવે છે. વહેલી વાવણી અને તે પણ ઊંચા બીજના દરે કરવામાં આવે તો તળછારા નામનો રોગ આવવાની શક્યતાઓ વધે છે. વાવણી મોડી કરવાથી શિયાળામાં વૃદ્ધિ માટેનો ગાળો ઓછો મળે છે અને માર્ચ-એપ્રિલમાં થતા કમોસમી વરસાદને કારણે ઈસબગુલના બીજ ખરી પડવાની શક્યતાઓ વધે છે. પાકની પરિપક્વતાના સમયે જો હવામાન ભેજવાળું હોય તો તેના બીજ ખરી પડે છે અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વધુ ઝાકળ તથા વરસાદના છાંટા પડવાથી પણ તેના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. પાક તૈયાર થાય તે સમયે જેમ વરસાદ વધુ તેમ છોડ પરથી બીજ વધુ ખરી પડે છે.

























