
ઈસબગુલને સ્થાનિક ભાષામાં ‘ઘોડા જીરૂ’ કહે છે. ઈસબગુલ એ આપણા દેશમાં ખેતી હેઠળના બધા જ ઔષધિય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્વનો પાક છે. ગુજરાત, રાજસ્થાન, ઉપરાંત મ પ્રદેશ તથા હરિયાણામાં પણ છેલ્લા થોડા વર્ષોથી તેની ખેતી શરૂ થઈ છે. ગુજરાતમાં મુખ્યત્વે બનાસકાંઠા , કચ્છ, મહેસાણા, જામનગર અને રાજકોટ જિલ્લામાં તેનું વાવેતર થાય છે.
ઈસબગુલના બીજમાં સૌથી મહત્ત્વનો ભાગ તેના પર આવેલ ભૂસી છે જે બીજનો ૩૦% હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત તેમાં ૫% જેટલું આછા પીળા રંગનું તેલ, ૬.૮% ભસ્મ તથા ૮૩% ભેજ હોય છે.
બીજમાંથી ભૂસી ભૌતિક પ્રક્રિયાથી છૂટી પાડવામાં આવે છે. ભૂસીમાં ભેજ સંગ્રહ કરવાના ગુણધર્મને કારણે તેના ઉપયોગ કબજિયાતની દવા તરીકે કરવામાં આવે છે. તે અમીબા અને જીવાણુંઓ દ્વારા થતાં કાયમી મરડામાં પણ ઉપયોગી છે. તે કેલરી મુક્ત છે. તેના રેસાઓ આતંરડાના હલનચલનને ઉત્તેજિત કરે છે.આથી કબજિયાત અને બીજા કેટલાક આંતરડાનાં રોગોને દૂર કરવા માટે તે વાપરવામાં આવે છે. વળી તેના ઉપયોગથી માનવશરીર પર બીજી કોઈ આડઅસર થતી નથી .

























