
જીરૂમાં ખાતરનું વ્યવસ્થાપન માટે સારું કોહવાયેલું છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં સપ્રમાણ રીતે આપી બરાબર ભેળવી દેવા આવશ્યક છે. પાયાના ખાતરો ચાસમાં બીજની નીચે પડે તે રીતે આપવાથી છોડ તેનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે છે. વાવણી સમયે હેકટર દીઠ પાયાના ખાતર તરીકે ૧૫ કિ.ગ્રા. ફોસ્ફરસ (33 કિ.ગ્રા. ડી.એ.પી.) અને ૧૩.૩ કિ.ગ્રા. નાઈટ્રોજન (૧૭ કિ.ગ્રા. યુરિયા) આપવું. બાકી રહેલો ૨૬.૭ કિ.ગ્રા. નાઈટ્રોજન પ્રતિ હેક્ટર પૂર્તિ ખાતર તરીકે વાવણી બાદ ૮-૧૦ અને ૩૦ દિવસે પ૭ કિ.ગ્રા. યુરિયાને બે સરખા હપ્તામાં પિયત આપ્યા બાદ સાંજના સમયે પગે ટકે તેવા ભેજે આપવું. સૂક્ષ્મ તત્ત્વોની ઉણપવાળી જમીન માટે ભલામણ કરેલ ખાતર સાથે ૧ ટન સારું કોહવાયેલ છાણિયા ખાતરને ૧.૫ કિ.ગ્રા. ફેરસ સલ્ફેટ અને ૦.૭૫૦ કિ.ગ્રા. ઝીંક સલ્ફેટથી સમૃદ્ધ કરી પાયામાં આપવાથી વધુ ઉત્પાદન મળે છે. ક્ષારીય જમીનમાં ભલામણ કરેલ ખાતર કરતાં વધારે ખાતર આપવું.

















