

એકથી વધારે પાકનું વાવેતર હોય તો એકાદ પાકમાં રોગ જીવાત, સવા-કવા કે વરસાદી હવામાનના કારણે નિષ્ફળતા મળે તો પણ ઉત્પાદન સાવ શૂન્ય થતું નથી. કેટલાક લાંબી મુદતે પૂરા થતા અને ખૂબ વહેલા ઉત્પન્ન આપી શકનારા પાકો મિશ્ર પાકમાં કર્યા હોય ત્યારે ઉપજ મળી રહે છે. કોઇ ખીલામૂળવાળા પાકની સાથે ઝાળા મૂળવાળો પાક હોય તો જમીનના નીચલા અને ઉપલા બન્ને થરનો કસ સરખો ઉપયોગમાં લઈ શકાય છે. કઠોળ વર્ગના પાક દ્વારા ચૂસાતા હવામાંના નાઇટ્રોજનનો લાભ તેની સાથે ઊભેલા પાકને વગર ખર્ચે મળે છે…ઉંચે વધતા અને નીચે રહેતા પાકો ભેળા હોય તો તે પર વરસી રહેલો સૂર્યપ્રકાશ બે માળવાળા બહોળા ક્ષેત્રમાં ઝીલી શકાય છે. વરસાદના વહી જતાં પાણીની ગતિ રોકી પાણી જમીનમાં ઉતારી શકાય છે. પાકના પ્રકાર વિધ વિધ હોવાથી રોગ-જીવાતોનો હુમલો બીજા પાકમાં આવતો નથી. જુદા જુદા પાકની જીવાતો એકબીજા માટે ભક્ષક હોવાથી ઘણીખરી જીવાતો અંદરોઅંદર લડી મરે છે. કુટુંબના સભ્યોને, વાડીના મજૂરોને પાકો વારાફરતી પાકતા રહેતા હોવાથી કામ એકધારું મળી રહે છે. ક્યારેય એકસામટી ભીંહ આવી પડતી નથી.

























